છત્રી-રેઈનકોટ સાથે રાખજો: આજે ગુજરાતનાં આ વિસ્તારોમાં વરસાદની આગાહી, માછીમારોને બે દિવસ ઍલર્ટ

ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ વરસશે તેવી વરસાદની આગાહી.

  • કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગની આગાહી
  • આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસશે સામાન્ય વરસાદ
  • 28 અને 29 મેના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં છેલ્લાં કેટલાંક દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. એવામાં હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, ‘આજે સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ વરસશે. સૌરાષ્ટ્રમાં રાજકોટ અને અમરેલીમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં પણ સામાન્ય વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. ત્યારે બીજી બાજુ માછીમારોને પણ તારીખ 28 અને 29 મેના રોજ દરિયો ન ખેડવાની સૂચના આપી છે.

બીજી બાજુ હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઇ આગાહી કરતા જણાવ્યું કે, આજે 26 મેના રોજ દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે. તાપી, નવસારી, વલસાડ, ભરૂચ અને સુરત સહિતના જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજસ્થાનમાં સર્જાયેલી સિસ્ટમ હજુ પણ સક્રિય રહેતાં વરસાદની શક્યતા છે. સાથે જ 2 દિવસ બાદ રાજ્યમાં ફરીથી ગરમીનો રાઉન્ડ શરૂ થવાની આગાહી કરવામાં આવી છે.

શું છે હવામાન વિભાગની આગાહી?

જો કે આગામી પાંચ દિવસ હવામાન ભેજવાળું રહેતાં ગરમીથી રાહત મળશે. રાજસ્થાન ઉપર લો પ્રેશર ઉદ્દભવ્યું હોવાથી ગુજરાતમાં તેની અસર જોવા મળી રહી છે. જેના કારણે અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભેજવાળું અને વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ પવનની ગતિ ૧૦થી ૧૫ કિ.મી. પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. તાપમાનમાં બેથી ત્રણ દિવસ કોઈ મોટો ફેરફાર પણ જોવા મળશે નહીં, પરંતુ પાંચ દિવસ બાદ રાજ્યનાં તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થશે. હાલ વાતાવરણ ભેજવાળું છે, પરંતુ વરસાદ આવે એટલા પ્રમાણમાં ભેજ નથી. હાલમાં કોઈ સ્ટ્રોંગ સિસ્ટમ સક્રિય નહીં હોવાથી વરસાદની શક્યતા નહિવત્ છે.

ગુજરાતમાં કયારે આવશે ચોમાસું?

જો કે રાહતના સમાચાર એ છે કે રાજ્યમાં આ વર્ષ ચોમાસું વહેલું આવી પહોંચશે. ગુજરાતમાં આ વર્ષે ૨૦ જૂનની આસપાસ ચોમાસાનું આગમન થઈ જાય તેવી સંભાવના છે. દેશમાં નૈઋત્યનાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. રાજ્યમાં મે મહિનાના અંત સુધી કાળઝાળ ગરમી યથાવત્ રહેશે, પરંતુ તેમાં સામાન્ય ઘટાડો થઈ શકે છે. કેરળમાં ૨૬મી મેના રોજ ચોમાસાનું આગમન થવાની શક્યતા છે. આ સ્થિતિમાં દક્ષિણ ગુજરાતમાં ૧૦થી ૧૫ જૂન વચ્ચે, તે પછી ૧૫થી ૨૦ જૂન દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાનું આગમન થઈ શકે છે.

રાજકોટમાં અડધો ઇંચ વરસાદ

મંગળવારે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યારે રંગીલા શહેર રાજકોટમાં વરસાદી ઝાપટું પડ્યું છે. અડધો ઈંચ જેટલો વરસાદ પડતાં શહેરના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. રાજકોટના કુવાડવા રોડ અને અન્ય નીચાણવાળા વિસ્તારમાં પાણી પણ ભરાઈ ગયા હતા. વરસાદ પડતાં રાજકોટ વાસીઓને ગરમીમાંથી થોડી રાહત મળી છે.

તાપી, નવસારી, દાહોદમાં વરસાદી માહોલ

રાજ્યમાં કાળઝાળ ગરમીની વચ્ચે અચાનક મંગળવારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. તાપી જિલ્લાના ડોલવણ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.સાથે જ વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો પવન પણ ફૂંકાયો હતો.તો નવસારી જિલ્લાના ગણદેવીના ધોલાઈ બંદર પર ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું હતું.વરસાદી ઝાપટું પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.જો કે વરસાદના કારણે કેરી પકવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો.તો દાહોદના ધાનપુર અને દેવગઢ બારીયામાં વરસાદી માહોલ સર્જાયો હતો.ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું હતુ.

ads